Bhavnagar News: પાલિતાણામાં કરોડોનો પાણીનો ટાંકો બન્યો ‘શોભાના ગાંઠિયા’ સમાન, તંત્રની બેદરકારીથી પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પ્રજાના ટેક્સના પૈસાનો આંધળુકિયાં કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં પાણીની સુવિધા સુધારવાના ઉમદા આશયથી અંદાજે ત્રણ વર્ષ પૂર્વે રૂ. 1.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો પાણીનો ટાંકો હાલ બિનઉપયોગી બની ગયો છે.
પાલિતાણા નગરપાલિકા ની ઘોરબેદરકરી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાંચથી વધુ વિસ્તારોમાં પાણીનો પુરવઠો સરળતાથી પહોંચાડવાના હેતુથી આ ટાંકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, નિર્માણના ટૂંકા ગાળામાં જ ટાંકો લીક થવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે આ ટાંકો આજે ‘શોભાના ગાંઠિયા’ સમાન બની રહ્યો છે. સરકારની તિજોરીમાંથી ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જર્જરિત ટાંકાના ભરોસે લાખોની વસ્તી
એક તરફ નવો ટાંકો નિષ્ક્રિય છે, તો બીજી તરફ આ જ વિસ્તારમાં વર્ષ 1989માં બનેલો જૂનો પાણીનો ટાંકો અત્યારે અતિ જર્જરિત હાલતમાં છે. તેમ છતાં, પાલિકાતંત્ર મજબૂરીમાં આજ ટાંકા દ્વારા પાણીનું વિતરણ કરી રહ્યું છે. સ્થાનિકોમાં ભયનો માહોલ છે કે, ગમે ત્યારે આ જર્જરિત ટાંકો ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારનો બગાડ અને જોખમી વ્યવસ્થા સામે પાલિતાણાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

