CCHFW Meeting: કેન્દ્રીય આરોગ્ય બેઠકમાં ગુજરાતનો ડંકો, આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કેન્દ્ર સમક્ષ કરી મોટી ભલામણો
CCHFW Meeting: આ બેઠક દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તનને વધુ વેગ આપવાના હેતુથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન (Ayushman Bharat Digital Mission - ABDM) હેઠળ આરોગ્ય સેવાઓના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મિશનના કારણે આરોગ્ય સેવાઓ વધુ સુલભ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનશે. આ સાથે જ, કુપોષણમુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણ તરફ એક મોટું પગલું ભરતા "એનીમિયા મુક્ત ભારત" (Anemia Mukt Bharat) અભિયાનની સંચાલન માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના (Narendra Modi) દુરંદેશી નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયોની સમગ્ર બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી.
રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધાની માંગણી
ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) વિસ્તારના દર્દીઓની સુવિધા માટે એક મહત્વનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે રાજકોટ (Rajkot) સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની (Organ Transplant) સંપૂર્ણ સુવિધા વિકસાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત માંગણી કરી હતી. હાલમાં આ વિસ્તારના દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સારવાર માટે દૂર સુધી જવું પડે છે. આ સુવિધા રાજકોટમાં ઉપલબ્ધ થતાં ગુજરાતના પશ્ચિમ ભાગના હજારો દર્દીઓને સમયસર, સસ્તી અને ગુણવત્તાસભર સારવારનો લાભ ઘરઆંગણે મળશે.
ફૂડ સેફ્ટી એક્ટમાં કડક સુધારાની ભલામણ
જનસ્વાસ્થ્ય સુરક્ષાના મુદ્દે મંત્રીએ ફૂડ અને ડ્રગ્સમાં ભેળસેળ કરનારા અસામાજિક તત્વો સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે વર્ષ 2006ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (Food Safety and Standards Act, 2006) માં જરૂરી સુધારા કરીને વધુ કડક અને નિરોધાત્મક જોગવાઈઓ ઉમેરવી જોઈએ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવાથી જ ભેળસેળના ગુનાઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.
એન્ટિબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ અંગે ચિંતા
દેશમાં એન્ટિબાયોટિક દવાઓના વધતા અને અનિયંત્રિત ઉપયોગ સામે આરોગ્ય મંત્રીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સના અતિરેકને કારણે માનવ શરીરમાં દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા એટલે કે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (Antimicrobial Resistance - AMR) જેવી ગંભીર વૈશ્વિક સમસ્યા ઉભી થઈ રહી છે. આ જોખમથી નાગરિકોને બચાવવા માટે દેશવ્યાપી સ્તરે એન્ટિબાયોટિક્સના જવાબદાર અને નિયંત્રિત ઉપયોગ માટે એક કડક નીતિ ઘડીને તેનું સખત અમલીકરણ કરવું અનિવાર્ય છે.
અંતમાં તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાત સરકાર (Government of Gujarat) દરેક નાગરિક સુધી આધુનિક અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને કામ કરી રહી છે. રાજકોટ એઇમ્સ (AIIMS Rajkot) માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ કરવાથી સૌરાષ્ટ્ર-કચ્છના હજારો દર્દીઓને અમદાવાદ કે અન્ય મેટ્રો શહેરો સુધી લાંબા થવું નહીં પડે અને કટોકટીના સમયે કિંમતી જીવ બચાવી શકાશે.

