Gandhinagar News: કચરાના વર્ગીકરણના નવા નિયમો લાગુ, ,જાણો નવી સિસ્ટમમાં શું થયા મોટો ફેરફાર?
Gandhinagar: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 ના અમલીકરણ અંગે એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય તા. 1 એપ્રિલથી રાજ્યમાં અમલી બનેલા ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-2026 ના અસરકારક અમલીકરણ કરવાનો છે.
વૈજ્ઞાનિક નિકાલ અનિવાર્ય
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જનઆરોગ્યની સુખાકારી માટે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ અનિવાર્ય છે. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને માત્ર વહીવટકર્તા નહીં, પરંતુ 'ફેસિલિટેશન લીડર' બનીને જનભાગીદારી સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું. મંત્રીએ જી.પી.એસ. આધારિત વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના પૂર્ણ ક્ષમતાથી ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
સ્વચ્છતા વગર વિકાસ અધૂરો
રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેરની પ્રગતિમાં સ્વચ્છતા પાયાની જરૂરિયાત છે. ગુજરાત હાલમાં સ્વચ્છતામાં દેશમાં ત્રીજા ક્રમે છે, પરંતુ લક્ષ્ય હવે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવાનો છે. તેમણે અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકેના અનુભવો વર્ણવતા કહ્યું કે, ડોર-ટુ-ડોર કલેક્શન (Door-to-door Collection) દ્વારા શહેરને 'કચરાપેટી મુક્ત' બનાવી શકાય છે.
ચાર ભાગમાં કચરાનું વર્ગીકરણ
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું કે, વર્ષ 2050 સુધીમાં રાજ્યની 65 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસતી હશે, જેને ધ્યાનમાં રાખીને કચરા વ્યવસ્થાપન અત્યંત મહત્વનું છે. હવેથી કચરાને ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજી વાળો કચરો એમ ચાર ભાગમાં વર્ગીકૃત કરવો ફરજિયાત છે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની સિસ્ટમ અમલી બનશે. વધુમાં, જૂના કચરાના નિકાલ માટે બાયો-માઇનિંગ (Bio-mining) અને રેમિડિએશન જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

